કોકરોચ જનતા પાર્ટી અરજી પર સુનાવણી મામલો

સુપ્રીમ કોર્ટે ‘કોકરોચ જનતા પાર્ટી‘ નામના સોશિયલ મીડિયા આંદોલન વિરુદ્ધ CBI તપાસ કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ ઓનલાઇન મૂવમેન્ટ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતની કોર્ટમાં કરાયેલી એક ટિપ્પણી બાદ કટાક્ષ તરીકે શરૂ થઈ છે.

સુનાવણી દરમિયાન જ્યારે અરજદારના વકીલે દલીલ કરી કે આ સોશિયલ મીડિયા અભિયાનના કારણે ન્યાયતંત્રની છબી ખરાબ થઈ રહી છે, ત્યારે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની બેન્ચે તેમને શાંત પાડતા બહુ મહત્ત્વની ટકોર કરી હતી કે, આ બાબતને આટલી બધી ભાવનાત્મક (સેન્ટિમેન્ટલ) રીતે લેવાની કોઈ જરૂર નથી.
હાલ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર
એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો, પરંતુ તેની સાથે જોડાયેલા લોકો પાસે કાયદાની સાચી ડિગ્રી છે કે નહીં અને તેઓ નકલી વકીલાત તો નથી કરી રહ્યા ને, તે અંગે પણ CBI તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
કોર્ટમાં અન્ય એક વકીલે પણ એવી રજૂઆત કરી હતી કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો દ્વારા સહજ રીતે બોલાયેલા શબ્દો કે ટિપ્પણીઓનો સોશિયલ મીડિયા પર કમાણી કરવા માટે ઉપયોગ ન થવો જોઈએ. જોકે, આ બધી દલીલો સાંભળ્યા પછી ચીફ જસ્ટિસે બહુ ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, આ મામલામાં હાલ કોઈ એટલી બધી ગંભીર ઉતાવળ નથી, આથી આ વિષયને અમે પછીથી જોઈશું.
આ વિવાદની શરૂઆત ૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક યુવા વકીલો વકીલાત કરવાને બદલે સોશિયલ મીડિયા અને RTI એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેટલાક યુવાનો ‘કોકરોચ‘ની જેમ આ પ્રોફેશનમાં રોજગાર મેળવી શકતા નથી અને સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને સમાજ પર બોજ બની રહ્યા છે.